નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી ધોળા દિવસે એક આંગડિયા પેઢીને નિશાન બનાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંસદામાં આવેલી ‘રમેશકુમાર અંબાલાલ’ નામની જાણીતી આંગડિયા પેઢીમાં આ ઘટના બની હતી. ધોળા દિવસે 3 અજાણ્યા શખ્સો પેઢીમાં આવ્યા હતા. આ ગઠિયાઓ સંચાલકને પૈસા ગણવાનું બહાનું આપીને વાતચીતમાં ઉલઝાવ્યા હતા.
આંગડિયા પેઢીના સંચાલક જ્યારે પૈસાની લેવડ-દેવડ કે ગણતરીમાં વ્યસ્ત હતા, ત્યારે આ 3 ઈસમોએ તકનો લાભ ઉઠાવીને તેમની નજર ચૂકવી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ પેઢીમાં પડેલા સાડા બાર લાખ રૂપિયાની માતબર રકમ લઈને આ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સંચાલકને લૂંટની જાણ થઈ ત્યાં સુધીમાં આરોપીઓ ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા.
લાખો રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસનો કાફલો ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
હાલમાં પોલીસે પેઢીના સંચાલકની પૂછપરછ કરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ફરાર થઈ ગયેલા ત્રણેય લૂંટારાઓને પકડી પાડવા માટે વાંસદા તાલુકા અને તેને જોડતા તમામ માર્ગો પર નાકાબંધી કરીને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.








