
નવસારી મહાનગરપાલિકામાં લાંબા સમયના વહીવટદાર શાસનનો અંત આવ્યા બાદ હવે ચૂંટાયેલી પાંખે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાએ પદગ્રહણ કરવાની સાથે જ જનતાના પ્રશ્નોના નિકાલ માટે આક્રમક સક્રિયતા દાખવી છે. મેયર પોતાની ઓફિસમાં બેસી રહેવાને બદલે સીધા જ જમીની સ્તર પર લોકપ્રશ્નો ઉકેલવા માટે ફિલ્ડ પર ઉતરી કામગીરી કરી રહ્યા છે
નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ એવી ઘટના છે, જ્યાં કોઈ મેયર પદ સંભાળતાની સાથે જ પોતાની સંપૂર્ણ સત્તાવાર ટીમ અને ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળને સાથે રાખીને વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જાતે સ્થળ પર પહોંચ્યા હોય. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વહીવટદાર શાસન દરમિયાન સામાન્ય જનતાની રજૂઆતો સાંભળનારું કોઈ ન હતું, પરંતુ હવે લોકપ્રતિનિધિઓ સત્તા પર આવતા જ વહીવટમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.
નવસારીના જાણીતા લુન્સીકુઇ મેદાન ખાતે હાલમાં સિન્થેટિક ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મેદાનની ફરતે લોખંડની મજબૂત ગ્રીલ લગાવવામાં આવી રહી હતી. જો કે, મેદાન ની પાળી ઉપર જ આ ગ્રીલ ફિટ કરી દેવાતાં સવાર-સાંજ પાળી પર આવી ને બેસતા સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
આ સ્થળ તપાસ દરમિયાન મેયર અશોકભાઈ ધોરાજીયા સાથે મનપાની સમગ્ર ટીમ અને ડેપ્યુટી. મેયર કેયુરીબેન દેસાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ચૂંટાયેલી પાંખ સત્તા પર આવતા જ નવસારીના અટકેલા વિકાસ કાર્યોને હવે ગતિ મળશે. મેયરે આ મુલાકાત દરમિયાન જણાવ્યું કે જનતાના ટેક્સના પૈસાથી થતા દરેક વિકાસકામો ઉચ્ચ ગુણવત્તાવાળા થાય અને સમયમર્યાદામાં પૂરા થાય તે માટે તમામ પ્રયત્નો કરાશે









